ધર્માચાર મિત્રો…
આજે આપણે આપણા મહેશપંથનાં પાયાના છત્રીસ દ્રોક(નિયમ)માં આવતા “ધર્માચાર – કરમ કે ઉજાર” વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. જેનો આપણા રોજિંદા જીવનમાં સવારે અથવા જ્યારે આપણાં મહેશ્વરી ભાઈ-બહેનોને મળવાનું થાય છે ત્યારે આપણે એકબીજાને કહીએ છીએ. ‘ધર્માચાર’ એટલે આપણાં ધરમ(ધર્મ)નું આચરણ કરવું, ધરમનાં નિયમ પ્રમાણે વર્તવું. કરમ કે ઉજાર(જુહાર) એટલે આપણને મળેલા અમુલ્ય માનવ જીવનને સંસાર સાગરમાંથી પાર ઉતરવા માટે યોગ્ય-સત્ય કરમ(કર્મ) કરીને આત્માને ઉજાગર કરવાનો છે. ઉજળા કરમ કરેલ હશે અને કરમવેદને નમન(જુહાર) કરીને યોગ્ય કરમ કરશું તો આ માનવ જીવન ધન્ય બની જશે. ભગવાન શ્રી ધણીમાતંગદેવ ની અમી દ્ષ્ટી થશે. તેનાં માટે આપણાં મહેશપંથ મુજબ ‘ધરમ’ અને ‘કરમ’ શું છે તે જાણીએ.
વેદ :-
ધરમેં આભા પાણી સંચરે, મુદતે મેઘ વસંત,
ધરમેં ધરાજો, વવીયો લુણજે.
દેવ મામૈ ચ્યે, ફુલ ફરે ફળ થિયંત.
ધરમે કાળી પડરું દુજે, રગત મંજાય ખીર થાય.
ધરમેં ઘટોઘટ ઘડીયો ગુસ્વામી, માંય સંચારીયો સાસ.
ધરમેં જળતે બેડા તરીયા, સે ઉગરી પાર થીયા.
ધરમજી લો૫ના સાયર નવ લોપે, દેવ મામૈઇ ચ્યે, લોળી લોળી સે મળંત.
ઉપરના વેદ મુજબ પૃથ્વી પર થી, આકાશમાં પાણી, જે બાષ્પીભવનથી વરાળ થાય છે, તે નિયમ એ ધરમ. મુદતમાંજે નિયમ પ્રમાણે વરસાદ વરસે છે તે નિયમ એ ધરમ. જમીનમાં વાવેતર કરવાથી બીજમાંથી, અનાજ, ફુલ, ફળ થાય છે અને મોટા વૃક્ષ થાય છે આ આખી પ્રકૃતિની પ્રક્રિયા જે નિયમના આધારે થાય છે તે નિયમ એ ધરમ. કાળી ગાયના લાલ લોહી માંથી જે સફેદ દુધ થાયછે તે આખું પરિવર્તન કુદરતના જે નિયમ આધારે થાય છે તે નિયમ એ ધરમ. ઘટ એટલે માનવ દેહ, માનવદેહ(ઘટોઘટ) જે પાંચ તત્વોનો અલખદેવે બનાવીને તેમાં શ્વાસનો સંચાર કરીને માનવને જીવંત રાખવાની તમામ ક્રિયા જે નિયમને આધારે થાય છે તે નિયમ એ ધરમ. દરિયામાં વહાણ જે નિયમના આધારે તરે છે, ચાલે છે તે નિયમ એ ધરમ. દરિયાની ભરતી-ઓટથી દરિયાના પાણી અમુક હદ સુધી ચડ ઉતર થાય છે, દરિયાની ભરતી-ઓટ જે ગુરૂત્વકર્ષણના નિયમ પ્રમાણે કામ કરે છે, તે નિયમ એ ધરમ. દરિયા(સાયર) પણ ધરમનો ભંગ કરતો નથી એવું શ્રી મમૈઇદેવનું કથન(વેદ) છે.
વેદ
વાંચાએ હાલો વાંચાએ ચાલો, વાંચાએ ક્રિયા કરો કમાઇ.
વાંચાજા બંધીયા ચાંદો સુરજ ચાલે, વાંચા ઇ ધરમ સખાઇ.
હાલમાં સૌ કોઇ જાણે છે કે, દર કલાકનાં ૧૬૦૦ કિ.મી. ની ઝડપે પૃથ્વી પોતાની ધરી પર, સુર્યની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. (સુર્ય જે એક તારો છે) તે ધ્રુવ તારાની આસપાસ ફરે છે. ચંદ્ર, પૃથ્વી, સુર્ય, તારા, આકાશગંગા કોઇ આધાર ટેકા વગર ફરે છે. ફક્ત અદષ્ય ગુરૂત્વકર્ષણ બળના નિયમ પ્રમાણે ફરે છે. જે નિયમ પ્રમાણે બધું ચાલે છે તે નિયમ એ ધરમ. એટલે વેદમાં જણાવવામાં આવેલ છે કે, ઉપરના કુદરતના પ્રકૃતિના નિયમ મુજબ વાંચાએ હાલો, ચાલો અને કરમ કરીને કમાઇ કરો. ચાંદો સુરજ પણ વાંચાએ ચાલે છે.
ટુંકમાં ધરમને નીચે મુજબ રજુ કરી શકાય.
૧. ધરમ એ સત્યનું નામ છે, જે દરેકને જોડેલ છે, ધારણ કરેલ છે. તેમજ દરેકને સંભાળીને રાખેલ છે જેના બધું વેરવિખેર થઇ જાય.
૨. આ સારૂં અસ્તિત્વ, પ્રકૃતિ, કુદરત જે સત્યનાં દોરાથી પરોવાયેલ છે તે સત્યનું નામ ધરમ.
૩. માળા અને મોતીની માળા બન્નેમાં ફેર એટલો જ કે, માળામાં મોતીને દોરામાં પરોવવામાં આવે છે. દોરા વગર મોતીવિખેરાઇ જશે. દોરાથી મોતી નિયમમાં રહીને માળા બને છે. આ અદ્ષ્ય દોરો જે મોતીમાં પરોવાયેલ છે તેનું નામ ધરમ.
૪. આ સારો સંસાર, ચંદ્ર, પૃથ્વી, સુર્ય, ગ્રહમાળા, તારાઓ, વરમંઢ, આડ, અણાડ,મેર, ગેલેક્શી તેમજ અપાર અવકાશી તત્વ જે એકબીજા સાથે સત્યથી પરોવાયેલા છે, જોડાયેલા છે તે નિયમનું નામ ધરમ.
૫. જેના નાદથી સારો સંસાર, માનવ, પશુ, પક્ષી, વૃક્ષ વગેરે લયબધ્ધ તાલબધ્ધ રીતે ચાલે છે તે અલખનો નિયમ એ જ ધરમ.
૬. અલખનો ધરમ એક જ છે પરંતુ પંથ અનેક છે. દા.ત. હિંદુ, મુસ્લિમ, શીખ, ઇશાઇ, પારશી, મહેશપંથ, બુધ્ધીસ્ટ વગેરે.
૭. અલખનાં નિયમ ઉપરથી દરેક સમાજમાં અવતારી પુરુષોએ જાતી, દુશને અનુરૂપ નિયમો બનાવ્યા છે. જપ, તપ, ધ્યાન, વ્રત, શરત અને ધાર્મિક ક્રિયાકાંડના નિયમ પ્રમાણે સમાજ ચાલે છે તે નિયમ એ ધરમ.
૮. દરેક દેશોએ પોતપોતાનાં નિયમ બંધારણ બનાવ્યા છે. દરેક અલગ અલગ ખાતાએ, રેવેન્યુખાતું, પોલીસ ખાતું …. વગેરે ખાતાએ પોતપોતાનાં કાયદા બનાવ્યા છે આ દરેક નિયમ પ્રમાણે ચાલવું એ ધરમ છે.